Air India માં ટૂંક સમયમાં જ મળશે કમ્ફર્ટ ઈકોનોમી ક્લાસની સુવિધા, થશે આ મોટા ફેરફારો

જો તમે ફ્લાઈટ દ્વારા મુસાફરી કરો છો, તો એર ઈન્ડિયા તમારા માટે એક ખાસ સુવિધા શરૂ કરવા જઈ રહી છે. ટાટા જૂથની એરલાઇન એર ઇન્ડિયા દ્વારા તેના વૈશ્વિક નેટવર્ક અને બજાર હિસ્સાને વિસ્તારવાના પ્રયાસો વચ્ચે, તેના સીઇઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને શનિવારે જણાવ્યું હતું કે એરલાઇન લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર વધુ સુવિધાઓ સાથે ઇકોનોમી ક્લાસ રજૂ કરશે. આગામી દાયકામાં ભારત અને એર ઈન્ડિયાને વિશ્વના ઉડ્ડયન ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળશે. તેમણે કહ્યું કે એર ઈન્ડિયા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ પર તેના માર્કેટ શેરને ઓછામાં ઓછા 30 ટકા સુધી વધારી શકે છે.
એરલાઇન લાંબા ગાળાની પુનઃપ્રાપ્તિ યોજના પર કામ કરી રહી છે અને આગામી પાંચ વર્ષમાં તેના કાફલા તેમજ તેના વૈશ્વિક નેટવર્કને વધારવાની યોજના ધરાવે છે. વિલ્સને જણાવ્યું હતું કે ગાદલા, પડદા, સીટ કવર-કુશન નજીકના ભવિષ્યમાં બદલવામાં આવશે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મેનુ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે, આ સિવાય આવતા મહિનાથી લાંબા અંતરની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં વધુ આરામદાયક ઈકોનોમી ક્લાસ શરૂ થશે, જેનાથી મુસાફરોને ઘણી રાહત મળશે.
જણાવી દઈએ કે ફંડ અને સ્પેરપાર્ટ્સની અછતને કારણે એરલાઈન્સનું વિમાન ઘણા વર્ષોથી કાર્યરત નહોતું. આવા 20 જેટલા વિમાનોનું સમારકામ કરવામાં આવ્યું છે. આ સિવાય 30 વધારાના એરક્રાફ્ટની લીઝ નક્કી કરવામાં આવી છે, જે આગામી 12 મહિનામાં ઉપલબ્ધ થશે અને તેનો સપ્લાય આવતા સપ્તાહથી શરૂ થશે. આ સિવાય બોઇંગ, એરબસ અને એન્જિન ઉત્પાદકો સાથે નવી પેઢીના એરક્રાફ્ટ ઓર્ડર કરવા માટે વાતચીત ચાલી રહી છે.
એર ઈન્ડિયાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી વિસ્તારી છે અને વાનકુવર, સિડની અને મેલબોર્ન માટે વધુ ફ્લાઈટ્સ રજૂ કરી છે. વિલ્સને કહ્યું કે હવે અમારી પાસે ભારતના સાત શહેરોથી લંડનની સીધી ફ્લાઈટ છે. આ સિવાય આગામી થોડા અઠવાડિયામાં સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક અને નેવાર્ક માટે સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.