1 જાન્યુઆરીથી અમલી આ નિર્ણયથી વેપારીઓ લાલઘુમ, આવતીકાલે સુરતની તમામ ટેક્સટાઈલ માર્કેટનું બંધનું એલાન

સુરત શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે સંકટ ઊભું થયું છે. જીએસટીના દર 5થી વધારીને 12 ટકા થયા છે. જીએસટીમાં ફેરફારના કારણે એન્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરનાર લોકો અને વેપારીઓને નુકસાની થઇ રહી છે. GST દર 12% થી ફરી 5% કરવા માંગ કરવામાં આવી છે. ત્યારે સુરતમાં 12 ટકા gst ના વિરોધમાં આવતીકાલે ટેક્સટાઇલ માર્કેટસ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. દેશના અને રાજ્યના અન્ય ટેક્સટાઇલ સંગઠનોએ આપેલા બંધના એલાનને સુરતના ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા પણ સમર્થન કરવામાં આવશે.
આગામી 1 જાન્યુઆરી થી કાપડ ઉપર 12 ટકા gst નો અમલ શરૂ થવાનો છે. 12 ટકા gst પાછો ખેંચવા અત્યારસુધી થયેલી રજૂઆતો નો કેન્દ્રમાંથી યોગ્ય પ્રત્યુતર નહીં મુકતા હવે વેપારીઓ લડતના માર્ગે આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોષ ની આગેવાની માં નાણામંત્રી નિર્મલા સીતારામન ને આ 12% GST મામલે રજુઆત કરવામાં આવી હતી. ત્યારે આ તમામ રજુઆતમાં મળેલા આશ્વાસન પોકળ લાગતા હવે વેપારીઓ લડતના માર્ગે આવ્યા છે. આવતીકાલે સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટસ બંધ રહેશે જ્યારે વિવિંધ ઉદ્યોગકારો આજે મળનારી મિટિંગમાં આ અંગે નિર્ણય કરશે.
ટેક્ષટાઈલ્સ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી છે. જે 1 જાન્યુઆરી 2022 થી જીએસટીના નવા દર અમલમાં આવશે. જો કે નાના વેપારીઓ માટે 12 ટકા જીએસટી અસહ્ય હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. ટેક્સટાઈલ માર્કેટના સૂત્રોનું કહેવું છે કે ભારતમાં 85 ટકાથી વધુ પ્રજા 1000 રૂપિયાથી ઓછી કિંમતના વસ્ત્રો પહેરે છે. ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરને પરિણામે સરકારની તિજોરીઓમાં વેપારીના પડી રહેતી ટેક્સ ક્રેડિટના પૈસા પાછા ન આપવા પડે તે માટે સરકાર આ ટેક્સ વધારવા માગે છે.
નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે વેપાર-ઉદ્યોગો પર મોટી અસર પડી છે. સુરત શહેર પણ આ મંદીમાંથી બાકાત રહ્યું નથી. વિશ્વભરમાં ટેકસટાઇલ સિટી તરીકે જાણીતા સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે.