ઝઘડા બાદ કોન્સ્ટેબલે ભર્યું પગલું, પત્ની અને પુત્રી સાથે 12મા માળેથી કૂદયો

ગુજરાતના અમદાવાદમાં આત્મહત્યાનો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. એક પોલીસ કોન્સ્ટેબલ અને તેની પત્નીએ તેમની સગીર પુત્રી સાથે સોસાયટીના 12મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. સોસાયટીમાં કંઇક પડવાનો અવાજ આવતા જ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સોલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ-પત્નીએ નજીવા ઝઘડામાં આ ખતરનાક પગલું ભર્યું હતું.
મૃતકોની ઓળખ કોન્સ્ટેબલ કુલદીપ સિંહ યાદવ, તેની પત્ની રિદ્ધિ અને ત્રણ વર્ષની પુત્રી તરીકે થઈ છે, એમ સોલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એનઆર વાઘેલાએ જણાવ્યું હતું. મૃતક કોન્સ્ટેબલ કુલદીપ સિંહ યાદવ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. કુલદીપ સિંહ યાદવ તેની પત્ની અને પુત્રી સાથે ગોતા વિસ્તારમાં બહુમાળી બિલ્ડિંગના 12મા માળે રહેતા હતા.
પતિ-પત્ની વચ્ચે થતો હતો અવારનવાર ઝઘડો
પાડોશીઓના કહેવા પ્રમાણે પતિ-પત્ની વચ્ચે રોજ ઝઘડો થતો હતો. ઘણી વખત અમે બંનેને સમજાવ્યા પણ બંનેએ ઝઘડો કરવાનું બંધ કર્યું નહીં. આજે બપોરે બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. બપોરે 1.30 વાગ્યાની આસપાસ દંપતીએ તેમની ત્રણ વર્ષની પુત્રી સાથે 12મા માળેથી છલાંગ લગાવી હતી. પડોશીઓએ જણાવ્યું કે જ્યારે કંઈક પડવાનો જોરદાર અવાજ આવ્યો ત્યારે અમે બાલ્કનીમાંથી ડોકિયું કર્યું. ત્રણેયના મૃતદેહ નીચે પડેલા હતા. ઉતાવળમાં અમે પોલીસને તેની જાણ કરી. ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
અન્ય એક પાડોશીએ જણાવ્યું કે ઝઘડાની વચ્ચે કુલદીપની પત્ની રિદ્ધિ પહેલા બાલ્કનીમાંથી કૂદી પડી હતી. આ પછી કુલદીપ સિંહ યાદવે તેની ત્રણ વર્ષની પુત્રી સાથે બિલ્ડિંગ પરથી કૂદી પડ્યો. ઘટનાસ્થળે પહોંચેલા કોન્સ્ટેબલ કુલદીપની બહેને જણાવ્યું કે અમે એક જ ફ્લોર પર રહીએ છીએ. બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ઈન્સ્પેક્ટર એનઆર વાઘેલાએ જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બંનેએ ગુસ્સામાં આ ખતરનાક પગલું ભર્યું હતું. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.