ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. જ્યારે વડોદરાથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

વડોદરામાં ઓમિક્રોનના 10 કેસ સામે આવ્યા છે. ગઈ કાલે 7 દર્દી ના રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. 10 કેસ સાથે વડોદરા નંબર વન પર રહ્યું છે. હરણી રોડ પરની સોસાયટીમા ઝામ્બિયાથી આવેલા દંપતી ના સંપર્કમાં આવેલા પરિવાર ને ઓમિક્રોન થયો છે.

તેની સાથે ત્રણ બાળકો પણ ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા છે. સંક્રમિત થયેલા લોકો કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે શોધવા આરોગ્ય વિભાગ દ્વારા દોડધામ શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 78 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 43 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે છેલ્લા ૨૪ કલાકમાં આણંદ અને જામનગર શહેરમાં કોરોનાથી 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.

તેની સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 30 કેસ સામે આવ્યા છે જેમાંથી હાલમાં 25 લોકો સારવાર હેઠળ રહેલા છે જ્યારે 5 ને રજા આપવામાં આવી છે. તેમ છતાં સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એક પણ મોત નીપજ્યું નથી.