અમદાવાદમાં વધુ એક યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું….!

અમદાવાદમાં યુરિયા ખાતરનુ વધુ એક કૌભાંડ ઝડપાયુ છે. દાણીલીમડાની રાજસ્વી કેમિકલમાથી યુરીયા ખાતર ઝડપાયું છે. આ મામલે 276 યુરિયા ખાતરની થેલી સાથે કેમિકલ ફેક્ટરીના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે ફેક્ટરી માલિક વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા ખાતર કૌભાંડ ના અન્ય આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલામાં દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.વી તડવી અને સ્ટાફને જાણકારી મળી હતી કે પ્રભુદાસ એસ્ટેટમાં આવેલ રાજ્સ્વી કેમિકલ કંપનીમાં યુરિયા ખાતરનો કેટલોક ગેરકાયદેસર જથ્થો છુપાવી રાખવામાં આવેલ છે. આ કારણોસર મોડી રાત્રીના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડા દરમિયાન ખેતીવાડી માટે ઉપયોગી સબસીડીયુક્ત યુરીયાનો ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. તે દરમિયાન કંપનીમાં હાજર રહેલા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવતા તેનું નામ જયેશ સોલંકી અને પોતે કંપનીમાં મેનેજર હોવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે, યુરિયા ખાતરનો જથ્થો રાખવા બાબતે કોઇ પુરાવો નહોતો. તે કારણોસર ફેક્ટરી માલિક વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.