ગરીબોને અપાતું સસ્તું અનાજ બારોબાર સગેવગે થઇ જવાનો મામલો હાલ ચર્ચામાં છે. ભૂતિયા લોકોના નામે તેમજ જેણે અનાજ લીધુ જ ના હોય તેવા ગ્રાહકો ના નામે અનાજ બારોબાર સગેવગે થતુ હોવાને પગલે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યનો અન્ન અને પૂરવઠા વિભાગ એપ બનાવશે. રાજ્યનો અન્ન અને પૂરવઠા વિભાગ “રાશન એપ” બનાવશે. એક- એક ગ્રાહકના એપ રેકોર્ડ રહેશે. પોતાના નામે કોઇ અન્ય તો અનાજ નથી લઇ જઇ રહ્યું તેના વિશે ગ્રાહક ખુદ એપમા જોઇ શકશે. અનાજની કવોલિટી મુદ્દે એપ થકી સીધી ફરિયાદ કરી શકશે. દુકાનદારો ના વ્યવહારથી લઇને વિતરણ વ્યવસ્થા મુદ્દે રેટીંગ આપી શકશે.

આગામી ૨૪ તારીખે એપનુ વિધીવત લોન્ચિંગ થઇ શકે છે. રાશન એપ બનાવવા સાથે સસ્તા અનાજ ના દુકાનદારોનુ કમિશન વધારવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. અત્યાર સુધી એક ક્વિન્ટલ દીઠ – ૧૦૮ રુપિયા કમિશન અપાતું હતું. હવે એ વધારીને રુપિયા ૧૫૦ કરાશે. આગામી જાન્યુઆરી માસ મા સસ્તા અનાજ ના દુકાનદારોનુ કમિશન વધારવાની વિધીવત જાહેરાત કરાશે કમિશન વધારવા સાથે રાશનમા વિવિધતા આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

હવે ટૂંક સમયમાં જ રાશન કાર્ડ હેઠળ કપાસિયાને બદલે સીંગતેલ અપાશે. સીંગતેલની સાથે- સાથે મગ અને ચણાની દાળ આપવાની પણ જાહેરાત કરાઇ શકે છે. અંદાજે ૩.૪૫ કરોડની વસ્તી રાશન કાર્ડ દ્વારા સસ્તા અનાજ નો લાભ લે છે.