તેલંગાણાના સિકંદરાબાદમાં સોમવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ઇલેક્ટ્રિક સ્કૂટર શોરૂમમાં આગ ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે અહીં ઈલેક્ટ્રિક બાઈક ચાર્જ થઈ રહી હતી. આગના કારણે અત્યાર સુધીમાં આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું છે કે, મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

ડીસીપી નોર્થ ઝોન ચંદના દીપ્તિએ જણાવ્યું છે કે, “પહેલા છ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં અન્ય બે લોકોના મોત સામે આવ્યા છે.” તેમણે જણાવ્યું છે કે, મોટાભાગના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા છે. અત્યાર સુધીની તપાસમાં શોર્ટ સર્કિટના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે, આગ લાગી ત્યારે લોજમાં લગભગ 24 લોકો રહેલા હતા.

અધિકારીઓએ જણાવ્યું છે કે, શોરૂમના ઉપર લોજ પણ આવેલ છે. આગને કારણે પહેલા અને બીજા માળે ધુમાડો ભરાઈ ગયો હતો, તેના કારણે લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. ત્યાર બાદ લોકોએ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. સ્થાનિક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, ઘણા લોકો તેમાં ફસાઈ ગયા અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા છે. ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, આગેવાની લીધી અને લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં સર્વિસિંગ માટે આવેલા પાંચ નવા સ્કૂટર અને 12 જૂના સ્કૂટર બળીને રાખ થઈ ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, “સિકંદરાબાદમાં આગના કારણે આઠ લોકોના મોતથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઇજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ સાથે તેમણે મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી હતી.