ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી થયો બહાર

ટીમ ઈન્ડિયાને આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહની પીઠની ઈજા ઘણી ગંભીર છે અને તે આગામી 4 થી 6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહી શકે છે. જો કે, BCCI એ હજુ સુધી બુમરાહના સ્થાનની જાહેરાત કરી નથી.
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, બુમરાહ પીઠના દુખાવાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જસપ્રીત બુમરાહને કમરના દુખાવાથી છુટકારો મેળવવા માટે સર્જરીની જરૂર નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે જસપ્રીત બુમરાહ 4 થી 6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે.
વાસ્તવમાં જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ જ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ જસપ્રીત બુમરાહ એશિયા કપનો ભાગ પણ ન બની શક્યો અને આ દરમિયાન તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કર્યું છે. બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. પરંતુ સિરીઝની બે મેચ રમ્યા બાદ જ બુમરાહ ફરી ઈજાગ્રસ્ત થયો હતો.