T20 વર્લ્ડ કપ 2022 સમાપ્તિના આરે છે. ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઈનલમાં કઈ ટીમ રમવા જઈ રહી છે તે અંગે તમામ ક્રિકેટ વિશ્લેષકો પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે. સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ એબી ડી વિલિયર્સે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. એબી ડી વિલિયર્સનું કહેવું છે કે, ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.

એબી ડી વિલિયર્સે કહ્યું છે કે, “મને લાગે છે કે ફાઈનલમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે અને ભારત વર્લ્ડ કપ જીતશે. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. ભારતની આખી ટીમ ખૂબ જ પ્રતિભાશાળી છે.”

સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે છે જ્યારે ન્યુઝીલેન્ડનો મુકાબલો પાકિસ્તાન સામે છે. ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે અને તેણે આસાનીથી સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ કિવી ટીમને પણ સેમીફાઈનલમાં પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. પાકિસ્તાનને છોડીને ઈંગ્લેન્ડે પણ સરળતાથી સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

એક સમયે એવું લાગતું હતું કે, પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકશે નહીં, પરંતુ તેણે જોરદાર વાપસી કરીને પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સાથે ભારત-પાકિસ્તાનની ફાઈનલ જોવાની દર્શકોની ઈચ્છા તેજ થઈ ગઈ છે. સુપર-12 મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું અને જો બંને ટીમો ફાઇનલમાં ટકરાશે તો આ મેચ ખૂબ જ રોમાંચક બની શકે છે.