T20 વર્લ્ડ કપ 2022 : બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, મહમુદુલ્લાહને સ્થાન ન મળ્યું

ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમની જાહેરાત કરવામાં આવી છે. અનુભવી ખેલાડી મહમુદુલ્લાહને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. શાકિબ અલ હસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમની વાત કરીએ તો કેપ્ટન શાકિબ અલ હસન સિવાય લીટોન દાસ, શબીર રહેમાન, યાસિર અલી, ઇબાદત હુસૈન, મેહદી હસન મિરાજ અને નુરુલ હસન જેવા ખેલાડીઓને જગ્યા મળી છે.
આ સિવાય હસન મહમૂદ, આતિફ હુસૈન, મુસ્તાફિઝુર રહેમાન, નસુમ અહેમદ, મોસાદ્દેક હુસૈન, મોહમ્મદ સૈફુદ્દીન અને નજમુલ હુસૈન સેન્ટો ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશી ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. વાસ્તવમાં એશિયા કપ 2022માં બાંગ્લાદેશનું પ્રદર્શન ભૂતકાળમાં નિરાશાજનક રહ્યું હતું. શાકિબ અલ હસનની કપ્તાનીમાં આ ટીમ એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પહોંચી શકી નથી. આ સાથે જ અનુભવી ખેલાડી મહમુદુલ્લાહને સ્થાન ન મળવું એ આશ્ચર્યજનક નિર્ણય છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્મા ટીમનો સુકાની હશે, જ્યારે કેએલ રાહુલ ઉપ-કેપ્ટનની ભૂમિકામાં હશે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. આ સાથે જ એશિયા કપ 2022માં પોતાની ડેથ ઓવર બોલિંગ સ્કિલથી પ્રભાવિત કરનાર અર્શદીપ સિંહને પણ ભારતીય ટીમમાં જગ્યા મળી છે. આ ભારતીય ટીમમાં મોહમ્મદ શમી, દીપક ચહર અને શ્રેયસ અય્યરને સ્થાન મળ્યું નથી.